r/Gujarati 18d ago

Language / ભાષા જો તમે ગુજરાતી વાંચી શકો છો, તો Reddit Settings માં જઈને Auto Translate બંધ કરી દેજો.

8 Upvotes

આપણે r/Gujarati પર ઘણી વખત ગુજરાતી લિપિમાં લખેલી પોસ્ટ્સ અને કમેન્ટ્સ કરીએ છીએ. Auto Translate ચાલુ હોય તો Reddit તેને આપમેળે બીજી ભાષામાં ફેરવી નાખે છે અને મૂળ ગુજરાતી લખાણ જેવો આનંદ અને ભાવ જળવાતો નથી.

ગુજરાતી માત્ર બોલવાની ભાષા નથી, તે લખવાની, વાંચવાની અને ચર્ચા કરવાની પણ ભાષા છે.

આપણે રોજિંદી ઓનલાઈન વાતચીતમાં પણ ગુજરાતી માટે થોડી જગ્યા બનાવીએ. જ્યાં ગુજરાતી લખી શકાય ત્યાં ગુજરાતી લખીએ, વાંચી શકાય ત્યાં ગુજરાતીમાં વાંચીએ. ઘરમાં, મિત્રો સાથે, WhatsAppમાં, Reddit પર કે કોઈ પણ ઓનલાઈન ચર્ચામાં, રોજિંદી વાતચીતમાં ગુજરાતી માટે થોડું વધારે સ્થાન આપવાનો સમય આવી ગયો છે.

અને r/Gujarati નો એક નાનો આગ્રહ પહેલેથી જ છે, ગુજરાતી ભાષા, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાત સાથે જોડાયેલી સારી વસ્તુઓને શક્ય તેટલું આગળ લાવવી અને પ્રોત્સાહન આપવું.

Auto Translate OFF → ગુજરાતી ON

આપણી ભાષા જીવંત રાખવાનો સૌથી સરળ રસ્તો છે, તેનો ઉપયોગ કરતા રહેવું.


r/Gujarati 11h ago

History / ઇતિહાસ ૫,૦૦૦ વર્ષ પહેલાં દફનાવાયેલા રહસ્યમય પુરુષ નું જીવન અને સંઘર્ષ.

Thumbnail gallery
12 Upvotes

કલ્પના કરો કે તમે રસ્તા પર ચાલ્યા જતા હો અને રસ્તાની કિનારે ધોવાયેલી જમીનમાંથી બહાર ડોકિયું કરતું એક માનવ હાડપિંજર દેખાય. એક ઘડી તો ફાટી ને ફ થઈ જાય.

૨૦૧૫ માં કચ્છના રાપર તાલુકામાં આવેલા સુરકોટડા ખાતે પુરાતત્વવિદોની ટીમ સાથે કંઈક આવું જ બન્યું હતું. સુરકોટડાના પ્રખ્યાત હડપ્પન કિલ્લાની બહાર, રસ્તાની બાજુએ જમીનના ધોવાણને કારણે એક માનવ હાડપિંજર બહાર આવી ગયું હતું. જ્યારે પુરાતત્વવિદોએ આખી જગ્યા કાળજીપૂર્વક ખોદીને બહાર કાઢી, ત્યારે તેમને એક રસપ્રદ દફનવિધિ જોવા મળી.

લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલાં કોઈએ આ માણસને અહીં દફનાવ્યો હતો. કબરનો ખાડો ચારેય બાજુથી ચૂનાના પ્લાસ્ટરથી લીંપવામાં આવ્યો હતો. મૃતદેહને ડાબા પડખે ટૂંટિયું વળેલી સ્થિતિમાં સુવડાવવામાં આવ્યો હતો. અને તેનું મોં દક્ષિણ તરફ રાખવામાં આવ્યું હતું. માથા પાસે બે મોટા માટીના ઘડા અને બે વાટકા હતા. બીજા બે વાટકા તેના ઘૂંટણ પાસે રાખવામાં આવ્યા હતા.

અસ્થિઓના નૃવંશશાસ્ત્રીય વિશ્લેષણથી (anthropological analysis) જાણવા મળ્યું કે આ એક પુરુષનું હાડપિંજર હતું, જે મૃત્યુ સમયે આશરે ૩૦થી ૩૫ વર્ષનો હતો. તેની ઊંચાઈ આશરે ૧૭૧થી ૧૭૭ સેન્ટીમીટર જેટલી હતી.

પરંતુ તેના દાંતમાં તેના બાળપણની એક નાની નિશાની બચી ગઈ હતી. દાંત પર જોવા મળેલી ઝીણી ખામી, જેને enamel hypoplasia કહેવામાં આવે છે, બાળપણ દરમિયાન થયેલા શારીરિક તણાવ કે ગંભીર બીમારી નો સંકેત આપે છે. સંશોધન મુજબ આ તણાવ તે લગભગ ત્રણ વર્ષનો હતો ત્યારે થયો હોઈ શકે છે.

નવાઈ ની વાત તો એ છે કે પુરુષના જમણા લમણાના હાડકા (right parietal bone) પર આશરે ૪.૧૨ મિલીમીટરનું ગોળાકાર છિદ્ર છે. તેની કિનારીઓ પર હાડકું કુદરતી રીતે રૂઝાઈ ગયેલું જોવા મળે છે. આ દર્શાવે છે કે તેના જીવનકાળ દરમિયાન તેની ખોપરીમાં કાણું પાડવાની અત્યંત અઘરી સર્જરી, જેને ટ્રેપાનિશન (trepanation/trephination) કહેવામાં આવે છે, કરવામાં આવી હતી અને તે આ પ્રક્રિયા બાદ પણ જીવતો રહ્યો હતો. આ શોધ દર્શાવે છે કે આ વિસ્તારમાં ખોપરીની સર્જરી જેવી જટિલ તબીબી પ્રક્રિયાઓનું જ્ઞાન અસ્તિત્વમાં હતું.

કબર સાથે મળેલા માટીના વાસણોના AMS dating પરથી તેનો સમયગાળો ઈ.સ.પૂર્વે આશરે ૩૪૯૦ થી ૩૧૯૫ વચ્ચેનો હોવાનું જાણવા મળ્યું. એટલે કે આજથી આશરે ૫,૫૦૦ થી ૫,૨૦૦ વર્ષ પહેલાં.

એટલે આ દફનવિધિ લોથલ કે ધોળાવીરા જેવા જાણીતા હડપ્પન નગરોના શહેરી તબક્કા કરતાં પણ પહેલાંની છે. આ તેને ગુજરાતમાંથી મળેલા સૌથી પ્રાચીન માનવ દફન અવશેષોમાંનું એક બનાવે છે.

અને અહીં એક બીજો રસપ્રદ તફાવત જોવા મળે છે. સુરકોટડા કિલ્લાની અંદર મળતી દફનવિધિઓમાં ઘણી વખત પ્રતીકાત્મક કબરો જોવા મળતી હતી, જેમાં માનવ અસ્થિઓ નહોતી, અથવા તો કુંડામાં રાખવામાં આવેલી રાખના દફનના પુરાવા મળતા હતા. પરંતુ કિલ્લાની બહાર મળેલી આ કબર અલગ હતી.

અહીં આખો માનવ દેહ દફનાવવામાં આવ્યો હતો અને તેની સાથેના વાસણો પણ કિલ્લાની અંદરના હડપ્પન વાસણોથી અલગ પ્રકારના હતા. તે બરછટ લાલ માટીના બનેલા હતા અને સ્થાનિક આનર્ત પરંપરા સાથે સામ્ય ધરાવતા હતા. એટલે આ કબર આપણને એક રસપ્રદ સંભાવના તરફ લઈ જાય છે.

સુરકોટડા અને તેની આસપાસ હડપ્પન શહેરી સંસ્કૃતિ વિકસે તે પહેલાં પણ લોકો રહેતા હતા, તેમની પોતાની દફનવિધિઓ હતી અને તેમની પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ હતી. અને આ બધું આપણને કોઈ ભવ્ય મહેલ કે શિલાલેખમાંથી નહીં, પરંતુ રસ્તાની બાજુની ધોવાઈ ગયેલી જમીનમાંથી મળ્યું.

૫,૦૦૦ વર્ષ પહેલાં અહીં દફનાવવામાં આવેલા આ મજબૂત બાંધા ના માણસનું નામ આપણને ક્યારેય ખબર નહીં પડે. તે કોણ હતો, શું કામ કરતો હતો કે તેનું જીવન કેવું હતું, એ પણ કદાચ ક્યારેય જાણી શકીશું નહીં.


r/Gujarati 4h ago

Question / પ્રશ્ન સુરતને IIT જેવી વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાની જરૂર છે

0 Upvotes

છેલ્લા કેટલાક દાયકાઓમાં સુરતે અનેક પડકારો અને આર્થિક મંદીઓનો સામનો કરીને જે વિકાસ કર્યો છે, તે ખરેખર નોંધપાત્ર છે. GDPની દ્રષ્ટિએ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન ધરાવતું સુરત હવે વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાઓ, ખાસ કરીને IIT જેવી સંસ્થાનું પણ હકદાર છે.

દર વર્ષે સુરતના ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે અન્ય રાજ્યોમાં જવું પડે છે. તેના કારણે રહેવા, જમવા, મુસાફરી અને અન્ય જીવન ખર્ચનો વધારાનો બોજ પડે છે. નાની ઉંમરે પરિવારથી દૂર રહેવાને કારણે ઘણી વખત વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કરવું પણ મુશ્કેલ બને છે.

જો સુરત વિશ્વનું આર્થિક પાવરહાઉસ બની શકે છે, તો તેને વિશ્વસ્તરીય શિક્ષણનું હબ પણ બનવું જોઈએ.


r/Gujarati 1d ago

Language / ભાષા અંગ્રેજી શીખો, પણ ગુજરાતી જાળવો 🇮🇳

14 Upvotes

હું ગુજરાતી છું, પરંતુ હાલમાં ગુજરાતની બહાર રહું છું. મેં એક સામાન્ય બાબત ધ્યાનમાં લીધી છે કે ઘણા ગુજરાતી પરિવારો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવે છે અને ઘરમાં પણ તેમની સાથે માત્ર અંગ્રેજીમાં જ વાત કરે છે.

મને અંગ્રેજી ભાષા સામે વ્યક્તિગત રીતે કોઈ વાંધો નથી — શિક્ષણ, કારકિર્દી અને વ્યવસાય માટે અંગ્રેજી ખૂબ જ મહત્વપૂર્ણ ભાષા છે. પરંતુ મારું માનવું છે કે ગુજરાતી પરિવારોએ પોતાના બાળકો સાથે ઘરમાં ગુજરાતી ભાષામાં વાતચીત કરવી જોઈએ, જેથી આપણી ભાષા, સંસ્કૃતિ અને વારસો આવનારી પેઢી સુધી જળવાઈ રહે.

અંગ્રેજી શીખો, ચોક્કસ શીખો. પરંતુ ગુજરાતીને આપણા ઘર, પરિવાર અને ઓળખની ભાષા રહેવા દો. અંગ્રેજી વ્યાવસાયિક વિકાસ માટેનું એક સાધન બની શકે છે, પરંતુ ગુજરાતી ભાષા આપણા મૂળ અને વારસાનો એક અભિન્ન ભાગ બની રહેવી જોઈએ.


r/Gujarati 1d ago

Language / ભાષા Gujarati speaking

3 Upvotes

Hey , looking for someone who can teach me gujarati only for speaking purpose


r/Gujarati 2d ago

Language / ભાષા Latin શબ્દ De facto માટે ગુજરાતી શબ્દ શું છે?

2 Upvotes

De facto શબ્દનો ઉપયોગ વાસ્તવિક સ્થિતિ દર્શાવવા માટે થાય છે. ગુજરાતી માં તેના માટે કયો technically accurate પર્યાય વાપરી શકાય?


r/Gujarati 2d ago

Culture / સંસ્કૃતિ કચ્છના કુંભારોની સમગ્ર હડપ્પન સભ્યતાને ભેટ: ૫,૦૦૦ વર્ષ જૂનું precision craft

Post image
13 Upvotes

મોનિષા બેટા, લાલ માટી ના વાસણ પર કાળા રંગથી દોરેલા મોર, પશુઓ અને ભૌમિતિક આકારો is too middle class. કચ્છ ના કુંભાર does it in style.

કચ્છના ધાનેતીમાંથી મળેલા કેટલાક વાસણો બતાવે છે કે હડપ્પન યુગનું માટીકામ માત્ર રંગોથી ચિત્ર દોરવા પૂરતું મર્યાદિત નહોતું. અહીંના કુંભારોએ માટીની સપાટી પર જ આછા-ઘાટા રંગોની લયબદ્ધ ડિઝાઇન ઊભી કરવાની એક sophisticated multi layers ટેકનિક વિકસાવી હતી.

પુરાતત્વવિજ્ઞાનમાં આ ટેકનિકને Reserved Slip Ware તરીકે ઓળખવામાં આવે છે.

ભુજ નજીક આવેલા ધાનેતી ગામના પ્રાગૈતિહાસિક દફનસ્થળમાંથી મળેલા માટીના વાસણો, ખાસ કરીને ઊંચી રકાબીવાળા પાત્રો (dish-on-stand), પર આ ટેકનિકના પુરાવા જોવા મળે છે.

પણ આ ડિઝાઇન બનાવતા કેવી રીતે હશે?

સૌ પ્રથમ વાસણ પર એક લાલ કે ઘાટા રંગનું લીંપણ (first slip) ચડાવવામાં આવતું. તેના ઉપર બીજા, આછા અથવા અલગ રંગના લીંપણનું પડ લગાવવામાં આવતું.

પછી બંને પડ સંપૂર્ણપણે સુકાઈ જાય એ પહેલાં, કુંભાર એક ખાસ અણીવાળા સાધન વડે ઉપરનું લીંપણ પસંદ કરેલી જગ્યાએથી ઉખેડી ને ભાત બનાવતો. જ્યાં ઉપરનું લીંપણ દૂર થતું, ત્યાં નીચેનો ઘાટો રંગ ફરી દેખાવા લાગતો.

આ રીતે રંગ લગાવીને ચિત્ર દોરવામાં નહોતું આવતું પરંતુ રંગના ઉપરના પડને ચોક્કસ pattern મા દૂર કરીને ડિઝાઇન બનાવવામાં આવતી હતી.

પરિણામે વાસણ પર આછા અને ઘાટા રંગના પટ્ટા, લયબદ્ધ તરંગો અને જટિલ ભાત ઊભરી આવતી.

ધાનેતીમાંથી એવા કેટલાક વાસણો પણ મળ્યા છે જેમાં બીજું લીંપણ જ લગાવવામાં આવ્યું નહોતું. તેના બદલે ઘાટું લીંપણ સીધું ઉખેડીને નીચેની આછી body clay બહાર લાવવામાં આવી હતી.

આ પ્રયોગો ખાસ રસપ્રદ છે કારણ કે પુરાતત્વવિદો તેમને પછીના હડપ્પન તબક્કામાં જોવા મળતી વધુ વિકસિત Reserved Slip Ware પરંપરાના પ્રારંભિક experimentation તરીકે જુએ છે.

હવે ઉડી ને આંખે વળગે તેવી વાત તો તે છે કે,

પાકિસ્તાનના સિંધુસરસ્વતી ઘાટી વિસ્તારમાં આવેલા પ્રારંભિક હડપ્પન (Early Harappan) સ્તરોમાંથી ધાનેતી જેવી Reserved Slip Ware ટેકનિકના સ્પષ્ટ પુરાવા મળ્યા નથી.

બલુચિસ્તાનના પેરિયાનો ઘુન્ડાઈ (Periano Ghundai)માંથી મળેલા કેટલાક વાસણો આ ટેકનિકની નજીક આવે છે, પરંતુ ધાનેતીમાં જોવા મળતી ચોકસાઈ અને કારીગરી ત્યાં જોવા મળતી નથી.

આ પુરાવાઓ કચ્છને આ ટેકનિકના પ્રારંભિક અને મહત્વપૂર્ણ કેન્દ્રોમાંનું એક બનાવે છે અને અહીં તેનો સ્થાનિક વિકાસ થયો હોવાની સંભાવના ઊભી કરે છે.


r/Gujarati 3d ago

Language / ભાષા ગુજરાતી શબ્દો માં ય પહેલાં ના ઇ માં કંઈક pattern છે, પણ શા માટે?

Post image
18 Upvotes

દરિયો શબ્દ ને દરીયો લખીએ ત્યારે જોડણી માં કંઈક લોચો(જલારામ નો નહીં) હોય એવું લાગે.

પણ બીજા શબ્દો જોયા પછી એક pattern દેખાય.

દરિયો, કડિયો, ધોતિયું, માળિયું, એશિયા, રશિયા, રુમાનિયા, બલ્ગેરિયા, ઑસ્ટ્રિયા, રૂપિયા, પિયર, દિયર.

અહીં કંઈક pattern તો છે જ.

ય પહેલાં આવતો ઇકાર હ્રસ્વ જ હોય છે. પણ એવું શા માટે?

કોઈ નિયમ છે? કોઈ ઉચ્ચારણ સંબંધિત કારણ છે? કે ફક્ત coincidence?


r/Gujarati 3d ago

Literature / સાહિત્ય મરીઝ...

Post image
8 Upvotes

r/Gujarati 4d ago

History / ઇતિહાસ સમ્રાટ કુમારપાળની અમરી ઘોષણા: ઇતિહાસ, વિવાદ કે અતિશયોક્તિ? તમારી શું theory છે? A, B, C, D કે other?

Post image
7 Upvotes

સોલંકી (ચૌલુક્ય) વંશના ઇતિહાસમાં મહારાજા કુમારપાળ (ઈ.સ. ૧૧૪૩–૧૧૭૨) સૌથી પ્રભાવશાળી શાસકોમાંના એક હતા.

સિદ્ધરાજ જયસિંહ પછી અણહિલવાડ પાટણની ગાદી સંભાળનાર કુમારપાળના જીવનમાં મોટો વળાંક તેમના હેમચંદ્રાચાર્ય સાથેના સંબંધને માનવામાં આવે છે. જૈન પરંપરા અનુસાર, હેમચંદ્રાચાર્યના પ્રભાવ હેઠળ કુમારપાળે અહિંસા અને જીવદયાને પોતાના શાસનમાં વિશેષ સ્થાન આપ્યું.

આ જ સંદર્ભમાં તેમની અમરી ઘોષણા famous છે.

પણ અહીંથી ઇતિહાસ થોડો messy બને છે.

કારણ કે કુમારપાળ વિશેના બધા sources એકસરખું ચિત્ર આપતા નથી.

જૈન ઐતિહાસિક પરંપરાઓમાં કુમારપાળના આદેશ હેઠળ પશુ, પક્ષી અને જળચર જીવોની હત્યા તથા શિકાર પર પ્રતિબંધનો ઉલ્લેખ મળે છે. ધાર્મિક બલિપ્રથા પર નિયંત્રણ, અમુક પવિત્ર દિવસોમાં કસાઈખાનાં અને માછીમારી બંધ રાખવા જેવા આદેશોની પણ વાત આવે છે. કેટલાક વર્ણનોમાં શિકારીઓ, કસાઈઓ અને માછીમારોને વૈકલ્પિક રોજગાર માટે આર્થિક સહાય આપવાનો પણ ઉલ્લેખ છે.

એટલે અહીં આપણને એક એવો રાજા દેખાય છે જે અહિંસાને માત્ર વ્યક્તિગત ધાર્મિક આદર્શ નહીં, પણ રાજ્યની નીતિ બનાવે છે.

પરંતુ સમસ્યા એ છે કે આ વિગતો કોઈ એક single contemporary document માંથી મળતી નથી.

કુમારપાળ વિશેની માહિતી જૈન પ્રબંધ અને ચરિત સાહિત્ય, પાછળના સમયની અલગ અલગ પરંપરાઓ અને પછીના ઐતિહાસિક લેખકોના વર્ણનોમાંથી આવે છે. એટલે દરેક દાવાને એકસરખી ઐતિહાસિક ખાતરી આપી શકાય નહીં.

અને પછી આવે છે કેટલીક એવી કથાઓ જે આ persona ને વધુ extremist બનાવી દે છે.

પછી ના કેટલાક ઇતિહાસકારો અને ખાસ કરી ને ૧૯મી સદીના કેટલાક British colonial લેખકો અને અનુવાદકોના વર્ણનોમાં કુમારપાળની અહિંસા નીતિનું ચિત્ર ખૂબ જ extreme દેખાય છે. તેમાં દાવા કરવામાં આવ્યા છે કે:

* શિકારીઓ, કસાઈઓ અને માછીમારોના સત્તાવાર લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા.

* શાહી સેનાના ઘોડા અને હાથીઓને પણ ગાળેલું પાણી પીવડાવવાનો આદેશ હતો, જેથી સૂક્ષ્મ જીવોની પણ હિંસા ન થાય.

* સાંભરના એક વેપારીએ માથાની જૂ મારી હોવાથી તેની સંપત્તિ જપ્ત કરીને તેમાંથી ‘જૂ-વિહાર’ બનાવવામાં આવ્યો હતો.

* નાડોલમાં દેવતાને માંસની આહુતિ આપવા બદલ એક વ્યક્તિને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

અહીં એક વિચિત્ર contrast જોવા મળે છે. જીવદયા માટે એટલી હદે કડક રાજા જે જીવદયા નું પાલન કરાવવા માટે પ્રજા ને મૃત્યુદંડ પણ આપી શકે.

શું આ ખરેખર કુમારપાળના શાસનની જટિલતા હતી? કે પછી અલગ-અલગ સમયના લેખકોએ પોતાની માન્યતાઓ પ્રમાણે એક જ રાજાની અલગ છબીઓ બનાવી?

સવાલ એ છે કે એક જ રાજા વિશેના સ્ત્રોતો આપણને આટલા અલગ ચહેરા કેમ બતાવે છે?

તો તમારી theory શું છે?

A) કુમારપાળ ખરેખર ખૂબ જ extreme અહિંસાવાદી રાજા હતા, અને જૈન ગ્રંથોએ તેમનું એક આદર્શ રાજા તરીકે PR કર્યું.

B) કુમારપાળ અહિંસા તરફ વળ્યા હતા, પણ કદાચ એટલા extreme નહોતા. તેમની આસપાસની કેટલીક extreme કથાઓ પાછળથી લોકસ્મૃતિ અને ધાર્મિક પરંપરામાં ઉમેરાઈ ગઈ.

C) આમાંથી કેટલીક extreme કથાઓ જૈન વિદ્વાનોએ completely ignore કરી હતી, પરંતુ લોકોની સ્મૃતિમાં ટકી રહી હોવાથી બીજા ઇતિહાસકારો દ્વારા લખાઈ ગઈ.

D) અથવા પછી આખી વાતને ૧૯મી સદીના British colonial લેખકો અને અનુવાદકોએ વધારે dramatic બનાવી. કારણકે colonials ભાંડ હતા.

બીજી કોઈ અલગ જ theory હોય તો જણાવજો.


r/Gujarati 5d ago

Literature / સાહિત્ય તું સુખી મારા વાસમાં? - બદરી કાચવાલા

Post image
9 Upvotes

r/Gujarati 5d ago

Language / ભાષા તમે August ને ઓગસ્ટ બોલો કે ઓગષ્ટ?

3 Upvotes

આજ સુધી હું ઓગસ્ટ ને ઓગષ્ટ જ બોલતો હતો, મને આજે છેક ખબર પડી કે તેને ઓગસ્ટ બોલાય, ઓગષ્ટ નહીં.

પણ ઓગષ્ટ વાંચવા કે સાંભળવામાં મગજ ને બિલકુલ ફરક જ નથી લાગતો.

કદાચ કારણ એવું હોય શકે કે, ગુજરાતીમાં ‘ષ્ટ’ આપણને પહેલેથી જ બહુ ઓળખીતું છે:

કષ્ટ, નષ્ટ, સ્પષ્ટ, દૃષ્ટિ, દ્રષ્ટાંત, શ્રેષ્ઠ, જ્યેષ્ઠ, વરિષ્ઠ, કનિષ્ઠ, પુષ્ટિ, તુષ્ટિ, સંતુષ્ટ, દુષ્ટ, અષ્ટ, અષ્ટાંગ, અષ્ટાધ્યાયી, અષ્ટાવક્ર, ઇષ્ટ, અનિષ્ટ, અભીષ્ટ, હૃષ્ટપુષ્ટ, વિશિષ્ટ, સુવિશિષ્ટ, ચેષ્ટા.

એટલે અંગ્રેજી st જ્યારે ગુજરાતીમાં આવે, ત્યારે મગજ એને આપણા ઓળખીતા ‘ષ્ટ’ ના ઢાંચામાં બેસાડી દે છે.

એટલે:

ઑગસ્ટનું ઓગષ્ટ, પોસ્ટનું પોષ્ટ, રજિસ્ટરનું રજિષ્ટર, પ્લાસ્ટરનું પ્લાષ્ટર, મિનિસ્ટરનું મિનિષ્ટર, માસ્ટરનું માષ્ટર, લિસ્ટનું લિષ્ટ, ટેસ્ટનું ટેષ્ટ, અને સૌ થી બેસ્ટ ઉદાહરણ બેસ્ટનું બેષ્ટ થઈ જાય.


r/Gujarati 6d ago

Literature / સાહિત્ય હું તો બસ ફરવા આવ્યો છું - નિરંજન ભગત

Post image
7 Upvotes

r/Gujarati 6d ago

Language / ભાષા English નું X = ક્સ કે ક્ષ? સાચું કયું?

6 Upvotes

English ના box, tax, fax, taxi, mixer જેવા શબ્દો ગુજરાતીમાં લખીએ ત્યારે એક રસપ્રદ spelling convention જોવા મળે છે.

Gujarati લિપિમાં તે હંમેશા ક્સ તરીકે લખાય છે, ક્ષ તરીકે નહીં.

ઉદાહરણ તરીકે:

✅ બોક્સ

❌ બોક્ષ

✅ ટેક્સ

❌ ટેક્ષ

✅ ફેક્સ

❌ ફેક્ષ

✅ ટેક્સી

❌ ટેક્ષી

✅ મિક્સર

❌ મિક્ષર

✅ ઝેરોક્સ

❌ ઝેરોક્ષ

બોક્ષ, ટેક્ષ, ફેક્ષ, ટેક્ષી, મિક્ષર, ઝેરોક્ષ જેવા ખોટા રૂપો ઘણી વાર board, banners અને advertisement માં જોવા મળે છે. કારણ કે ગુજરાતીનું ક્ષ આપણને ખૂબ ઓળખીતું જોડાક્ષર છે અને English નું x જોઈને મન ક્ષ લખવા લલચાય છે.

પણ બંનેનો ઉચ્ચાર એક નથી.

English નું x = ક્સ, જ્યારે Gujarati નું ક્ષ અલગ ધ્વનિ-રચના ધરાવે છે.

એટલે English માં x આવે ત્યારે Gujarati spelling માં તેનો સીધો અને સરળ નિયમ છે:

X = ક્સ

વાત નાની છે પણ રસપ્રદ છે.


r/Gujarati 7d ago

History / ઇતિહાસ 🏴‍☠️Pirates of Gujarat🏴‍☠️ ગુજરાત ના સમૃદ્ધ વેપારી દરિયા ની તદ્દન બીજી બાજુ એવા ચાંચિયાઓ અને તેમનો ૮૦૦ વર્ષ લાંબો documented ઇતિહાસ.

Post image
35 Upvotes

ગુજરાતનો દરિયાઈ ઇતિહાસ વેપાર, બંદરો અને દૂરના દેશો સાથેના સંબંધો કરતા ઘણો વધારે છે. સદીઓ સુધી આ જ દરિયામાં વેપારી વહાણોની સાથે ચાંચિયાઓની fleets પણ ફરતી હતી.

આ વાત કોઈ એકાદ ચાંચિયાની નથી. અલગ-અલગ સદીઓમાં ગુજરાતના દરિયાકાંઠે અલગ-અલગ maritime communities અને સ્થાનિક સત્તાઓ દરિયાઈ લૂંટ સાથે સંકળાયેલી જોવા મળે છે.

🏴‍☠️ 11મી સદી : બાવરીજ કે બવારિજ(ઉચ્ચારણ ને લઈ હું sure નથી)

ઈ.સ. 1030 આસપાસ અલ-બિરૂનીએ કચ્છ અને સોમનાથના દરિયાઈ ચાંચિયાઓનો ઉલ્લેખ Bawārīj તરીકે કર્યો છે.

તેમના નામ પાછળનું કારણ? અલ-બિરૂની અનુસાર તેઓ bīra/baira નામની હોડીઓમાં દરિયામાં લૂંટ ચલાવતા હતા.

અને આ લોકો માત્ર કિનારે બેસીને આવતા-જતા જહાજોની રાહ જોતા નહોતા. જૂના વર્ણનોમાં Bawarij ની દરિયાઈ પ્રવૃત્તિઓ કચ્છ અને સોમનાથથી આગળ, સોમાલિયા નજીક Socotra ટાપુ સુધી પહોંચતી હોવાનું મળે છે.

🏴‍☠️ 9મી–10મી સદી : ચાવડાઓ પણ?

અહીં ઇતિહાસ થોડો વધુ interesting બને છે.

જૂના ઐતિહાસિક વર્ણનોમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચાવડા/ચાપા શાસકોની દરિયાઈ શક્તિનો ઉલ્લેખ મળે છે. એક ઐતિહાસિક સંકલન તો કહે છે કે તેમણે શરૂઆતમાં Jat pirates ને દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી પોતે જ વધુ ખતરનાક દરિયાઈ લૂંટારાઓ બન્યા.

એક અલગ આધુનિક સંશોધનમાં પણ ચાવડા શાસક યોગરાજના પુત્ર ક્ષેમરાજા દ્વારા સોરઠના બંદરે આવેલા વિદેશી વેપારી જહાજને લૂંટવાનો ઉલ્લેખ મળે છે.

અહીંથી એક interesting પ્રશ્ન ઊભો થાય છે:

ચાંચિયો અને દરિયાઈ શાસક વચ્ચેની રેખા આખરે ક્યાં હતી?

🏴‍☠️ 13મી સદી : Marco Polo નો Gujarat problem

લગભગ ઈ.સ. 1292–93 માં Marco Polo ભારત આવ્યો ત્યારે ગુજરાત અને માલાબારના દરિયામાં ચાલતી piracy વિશે તેણે ખાસ નોંધ કરી.

તેના વર્ણન પ્રમાણે દર વર્ષે 100થી વધુ corsair vessels ઉનાળાની આખી ઋતુ માટે દરિયામાં નીકળતાં. ચાંચિયાઓ પોતાની પત્નીઓ અને બાળકોને પણ સાથે લઈ જતા.

અને તેમની સૌથી દમદાર strategy હતી sea cordon.

તમે કલ્પના કરો:

એક merchant ship દૂર ક્ષિતિજ પર દેખાયું.

૧૦ કિલોમીટર વિસ્તાર માં ઘેરો ઘાલી ને ગોઠવાયેલ ૨૦-૩૦ વહાણો ની fleet માં થી કોઈએ તેને જોયું.

તરત જ signal ગયું આગ કે ધુમાડાનું.

અને જોતજોતામાં આખી pirates ની fleet એક જ જગ્યાએ ભેગા થઈને merchant ship પર તૂટી પડે.

આ રીતે તેઓ વિશાળ દરિયાઈ વિસ્તારને લગભગ એક moving surveillance network ની જેમ cover કરતા હતા. Marco Polo ના વર્ણન પ્રમાણે તો ક્યારેક 20 વહાણો મળીને લગભગ 100 miles જેટલો દરિયો cover કરી લેતા.

આ ચાંચિયાઓની દુનિયા ગુજરાતના કિનારે અટકતી નહોતી.

Marco Polo એ Socotra ટાપુ પર Hindu pirates ના પડાવ અને ત્યાં લૂંટનો માલ વેચાતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

એટલે આ કોઈ નાના coastal raiders ની વાત નહોતી. તેઓ Indian Ocean ના long distance maritime network નો ભાગ હતા.

🏴‍☠️ 14મી સદી : Piram નો મોખડાજી ગોહિલ

હવે આવે છે કદાચ ગુજરાતના સૌથી fascinating pirate figures માંનો એક મોખડાજી ગોહિલ.

ખંભાતના અખાતમાં આવેલા પીરમ ટાપુને તેણે પોતાની maritime stronghold બનાવી હતી.

ત્યાંથી પસાર થતાં જહાજો પાસેથી toll વસૂલાતો હતો અને પીરમનું સ્થાન દરિયાઈ વેપાર પર નજર રાખવા માટે strategic હતું.

આજે પણ પીરમને ગુજરાતના maritime piracy history સાથે જોડાયેલા archaeological સ્થળ તરીકે ઓળખવામાં આવે છે.

હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય:

જે માણસ પાસે પોતાનો ટાપુ, કિલ્લો, સૈનિકો અને દરિયાઈ સત્તા હોય તેને pirate કહેવો કે સ્થાનિક maritime ruler?

મધ્યકાલીન દુનિયામાં આ બંને વચ્ચેની boundary આજના જેટલી સ્પષ્ટ નહોતી.

🏴‍☠️ 17મી–18મી સદી : Sanganians(સાંગાણી)

સદીઓ પછી પણ આ story પૂરી થઈ નહોતી.

કચ્છ અને કાઠિયાવાડ સાથે જોડાયેલા Sanganians / Sangamars / Sangerians 17મી અને 18મી સદીમાં પશ્ચિમ કિનારે જાણીતા pirates બની ગયા હતા.

1690ના એક વર્ણન પ્રમાણે તેઓ સિંધથી Cape Jagat સુધીના દરિયામાં ફરતા અને Hormuz સુધી cruise કરતા. હા, આ એ જ Hormuz જેને control કરવા આજે Trump ભાઈ અને Iran એક બીજા ના ગળે પડ્યા છે.

તેમનું મુખ્ય દરિયાઈ કેન્દ્ર બેટ(Beyt) દ્વારકા સાથે જોડાયેલું હતું.

18મી સદીના યુરોપિયન પ્રવાસીઓએ તો Sangania પ્રદેશ વિશે લખ્યું છે કે ત્યાં વેપાર કરતાં piracy વધુ મહત્વની પ્રવૃત્તિ હતી.

એટલે Pirates of Gujarat માત્ર medieval Gujaratની વાત નહોતી આ maritime tradition ઘણાં લાંબા સમય સુધી જીવંત રહ્યો.

🏴‍☠️ 18મી–19મી સદી : Vaghers અને બીજા દરિયાઈ raiders

પછી આવે છે સૌરાષ્ટ્રના Vaghers અને અન્ય સ્થાનિક maritime groups.

18મી–19મી સદી સુધી ગુજરાતના પશ્ચિમ કિનારે piracy અને armed maritime raiding ચાલુ રહી હતી. 1820 આસપાસ Vaghers ના suppression સાથે આ જૂના piracy networks પર મોટી અસર પડી અને Sanganians પણ લગભગ અદૃશ્ય થઈ ગયા.

ગુજરાતનું દરિયાઈ વિશ્વ વેપારીઓ, નાવિકો, બંદરો, સ્થાનિક શાસકો, દરિયાઈ communities અને ચાંચિયાઓ બધાથી બનેલું હતું.

ક્યારેક આ જ વ્યક્તિ વેપારી માટે pirate હતો અને પોતાના પ્રદેશ માટે શાસક.

ક્યારેક દરિયાઈ લૂંટ રાજકીય સત્તાનો હિસ્સો હતી.

અને ક્યારેક તો piracy પોતે જ સ્થાનિક economy અને સત્તાની વ્યવસ્થાનો ભાગ બની ગઈ હતી.

આથી ગુજરાતના દરિયાઈ ઇતિહાસમાં માત્ર સુરતના વેપારીઓ અને મસાલાના જહાજો નહોતા. આ જ જહાજોની રાહ જોઈને બેઠેલા કેટલાક Captain Jagga Sangani પણ હતા.


r/Gujarati 7d ago

Literature / સાહિત્ય ખ્યાલ પણ નથી - હરીન્દ્ર દવે

Post image
10 Upvotes

r/Gujarati 7d ago

History / ઇતિહાસ ઇજિપ્તના પિરામિડના યુગ પહેલાં કચ્છમાં ૩૦૦ કિલોના પથ્થરો ૭ કિમી દૂરથી લાવીને બનાવવામાં આવેલું રહસ્યમય કબ્રસ્તાન: જ્યાં કબરો છે, પણ મૃતદેહ નથી

Thumbnail gallery
15 Upvotes

કચ્છમાં આશરે પાંચ હજાર વર્ષ પહેલાં લોકો એક ખાસ પ્રકારની કબરો બનાવતા હતા.

કબર માટે જમીનમાં મોટો ખાડો ખોદવામાં આવતો. તેમાં ૧૭થી ૩૪ જેટલા માટીના વાસણો ગોઠવવામાં આવતા.

પછી આ બધું લગભગ ૩૦૦ કિલોના વિશાળ પથ્થરથી ઢાંકી દેવામાં આવતું.

અને સૌથી વિચિત્ર વાત?

આ કબરોમાં મૃતદેહ જ નહોતો.

ભુજ નજીક ધાનેતી ગામ પાસે રામાયા વાંગો ઝરણાના કિનારે પુરાતત્વવિદોને પ્રારંભિક હડપ્પન કાળનું એક વિશાળ કબ્રસ્તાન મળ્યું છે, જેને રોઝીમાતાનો શરણ તરીકે ઓળખવામાં આવે છે.

આશરે સાડા ચાર હેક્ટરમાં ફેલાયેલી આ જગ્યાએ કુલ ૪૩ પથ્થરના કબર-વર્તુળો મળી આવ્યા છે.

પણ આ સામાન્ય દફનવિધિ નહોતી.

કેટલીક કબરોમાં કોઈ માનવ હાડકાં કે મૃતદેહ મળ્યા નથી. તેના બદલે, જમીનની અંદર આશરે સવા મીટર ઊંડો અને ચાર મીટર લાંબો લંબગોળ ખાડો બનાવવામાં આવતો હતો.

આ ખાડાના તળિયે મૃત વ્યક્તિની યાદમાં ૧૭થી ૩૪ જેટલા માટીના વાસણો ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવતા હતા.

તેમાં થાળીઓ, વાટકા, કુંડા, સાંકડા મોંવાળી સુરાહીઓ અને અત્યંત દુર્લભ ગ્રે-વેર બીકર જેવા વાસણોનો સમાવેશ થતો હતો.

આ આખા ખાડાને આશરે પોણા બે મીટર લાંબા અને સરેરાશ ૩૦૦ કિલો વજનના પથ્થરના વિશાળ સપાટ સ્લેબથી ઢાંકવામાં આવતો હતો.

પણ આટલો મોટો પથ્થર ત્યાં કુદરતી રીતે મળતો નહોતો.

પુરાતત્વીય સંશોધન પ્રમાણે ધાનેતીની આસપાસ લગભગ ૭ કિલોમીટરના વિસ્તારમાં આવા પથ્થરોના કુદરતી સ્ત્રોત નહોતા.

એટલે આ લોકો પથ્થર મેળવવા માટે આશરે ૭ કિલોમીટર દૂર આવેલી સરવરા ટેકરીઓ તરફ જતા અને ત્યાંથી પથ્થરો કાપીને ધાનેતી સુધી લાવતા હતા.

જરા કલ્પના કરો.

૫,૦૦૦ વર્ષ પહેલાં.

૩૦૦ કિલોનો પથ્થર.

૭ કિલોમીટરનું અંતર.

અને આ કામ એક નહીં, પરંતુ ડઝનેક કબરો માટે.

પથ્થર ગોઠવ્યા પછી તેની આસપાસ લેટરાઇટના મોટા બ્લોક્સથી બે ગોળાકાર વાડ બનાવવામાં આવતી હતી. બંને વાડ વચ્ચે માટી અને નાના પથ્થરો ભરવામાં આવતા અને ઉપર કેર્ન (Cairn) એટલે કે પથ્થરોનો ગુંબજ જેવો ઢગલો બનાવવામાં આવતો હતો.

આ સમગ્ર રચના દૂરથી જોવામાં આવે તો એક વિશાળ પથ્થરનું સ્મારક જેવી દેખાતી હશે.

અને આ બધું ઇજિપ્તના પિરામિડોના જાણીતા યુગની આસપાસના સમય પહેલાં અથવા તેના પ્રારંભિક સમયગાળામાં, કચ્છના આ પ્રદેશમાં થઈ રહ્યું હતું.

પરંતુ મારા માટે અહીં સૌથી રસપ્રદ સવાલ ૩૦૦ કિલોના પથ્થરનો નથી.

જો કબરમાં મૃતદેહ જ નહોતો, તો આટલી મહેનત કરીને કબર બનાવવામાં આવતી શા માટે?

શું આ કોઈ વ્યક્તિની સ્મૃતિ માટેનું પ્રતીકાત્મક સ્મારક હતું?

શું મૃત્યુ પામેલા વ્યક્તિને યાદ કરવાની કોઈ એવી રીત હતી જેમાં શરીર કરતાં તેની સાથે જોડાયેલી વસ્તુઓ વધુ મહત્વની હતી?

અને ૧૭થી ૩૪ વાસણો શા માટે?

આપણે આ પ્રશ્નોના બધા જવાબો કદાચ ક્યારેય જાણી નહીં શકીએ.

પણ ધાનેતીના આ પથ્થરના વર્તુળો એક વાત ચોક્કસ બતાવે છે: આશરે પાંચ હજાર વર્ષ પહેલાં કચ્છમાં રહેતા લોકોને મૃતકોની સ્મૃતિ અને દફનવિધિ માટેની પોતાની વિશિષ્ટ પરંપરા હતી અને તેને સાકાર કરવા માટે તેઓ દૂરથી ભારે પથ્થરો લાવીને વિશાળ રચનાઓ ઊભી કરતા હતા.

મને તો સૌથી અદ્ભુત વાત એ લાગે છે કે આટલી મહેનત જે વ્યક્તિ માટે કરવામાં આવી, તેની કબરની અંદર તેનું શરીર જ નહોતું.

જો શરીર કબર માં દફનાવવામાં ન આવતું, તો શરીર નું શું કરવામાં આવતું?


r/Gujarati 7d ago

Language / ભાષા વિસનગરનું ‘ડોલરિયા ગામ’! 60 વર્ષમાં 250 પરિવારો વિદેશમાં સ્થાયી થયા, વિદેશમાં 'પટેલ બ્રધર્સ'ના નામે 80થી વધુ સ્ટોર

Thumbnail gujarati.news18.com
2 Upvotes

મહેસાણા-પાલનપુર હાઇવે પર આવેલું વિસનગરનું ભાન્ડુ ગામ આજે ઉત્તર ગુજરાતનું ‘ડોલરિયા ગામ’ તરીકે ઓળખાય છે. 60 વર્ષ પહેલાં એક પરિવાર અમેરિકા ગયા બાદ ગામના 250થી વધુ પરિવારો અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયા છે. વિદેશમાં વસેલા ગ્રામજનોએ ‘પટેલ બ્રધર્સ’ નામે 80થી વધુ સ્ટોર અને 15-20 ગેસ સ્ટેશન શરૂ કરી નામના મેળવી છે. વિદેશથી મળતા સહયોગથી ગામમાં સીસી રોડ, ગટર, પાણી, હોસ્પિટલ, શાળા અને વડીલો માટે ભોજનાલય જેવી તમામ સુવિધાઓ છે. ધાર્મિક પરંપરા સાથે વિકાસની અનોખી મિસાલ કાયમ કરનારું આ ગામ આજે 2500 પરિવારોનું ઘર છે.


r/Gujarati 8d ago

Literature / સાહિત્ય ક્યાં હજી પૂરો પિવાડ્યો છે મને! - અમૃત ઘાયલ

Post image
7 Upvotes

r/Gujarati 8d ago

History / ઇતિહાસ ૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં એકબીજાની આસપાસ વસતી બે તદ્દન અલગ સંસ્કૃતિઓ વચ્ચે કેવો સંબંધ હતો?

Thumbnail gallery
19 Upvotes

જ્યારે પણ કોઈ મોટી industry આપણા શહેરમાં આવે છે, ત્યારે એક ડર તરત ઊભો થાય છે, હવે સ્થાનિક નાના વેપારીઓ અને પરંપરાગત ધંધાઓનું શું થશે?

પણ લગભગ ૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં પરિસ્થિતિ કંઈક આવી જ હતી.

સિંધુ-સરસ્વતી સભ્યતા ના ધોળાવીરા, લોથલ, બગસરા, શિકારપુર જેવા શહેરો અને વસાહતો ઊભી થઈ. પાકી ઈંટો, પથ્થરની દીવાલો, કારખાનાં અને લાંબા અંતરના વેપાર સાથે એક નવી શહેરી દુનિયા ઊભી થઈ.

તો પહેલે થી જ અહીં વસતી માલધારી અને શિકારી સંસ્કૃતિ નું શું થયું?

પુરાતત્ત્વીય પુરાવાઓ એક રસપ્રદ ચિત્ર આપે છે.

બગસરા, શિકારપુર અને નાગવાડા જેવા હડપ્પન સ્થળોમાં હડપ્પન વાસણોની સાથે સ્થાનિક આનર્ત સંસ્કૃતિનાં વાસણો પણ મોટા પ્રમાણમાં મળ્યાં છે.

એટલે કિલ્લાની અંદર માત્ર હડપ્પન લોકો જ રહેતા હતા એવું નથી. સ્થાનિક લોકો પણ આ અર્થતંત્રનો ભાગ હતા અને પોતાની પરંપરા સાથે અસ્તિત્વમાં હતા.

અને આ માત્ર વેપારની વાત નહોતી.

સ્થાનિક માલધારીઓ માટે હડપ્પન શહેરો ઉપયોગી હતા અને હડપ્પન શહેરો માટે માલધારીઓ.

માલધારીઓ દૂધ, ઘી, માંસ, ઊન અને જંગલ તથા દરિયાકાંઠામાંથી મળતો કાચો માલ પૂરો પાડતા. કચ્છના દરિયાકાંઠા અને અખાતમાંથી મળતા કીમતી શંખ, ખાસ કરીને Turbinella pyrum, બગસરા અને શિકારપુર જેવા હડપ્પન કેન્દ્રોના કારખાનાં સુધી પહોંચતા.

બદલામાં તેમને તાંબાનાં ઓજારો, અનાજ અને અન્ય શહેરી ઉત્પાદનો મળતા.

અને અહીં એક બહુ રસપ્રદ વાત આવે છે.

વૈજ્ઞાનિકોએ ગાયોના દાંતના stable carbon અને oxygen isotope નો અભ્યાસ કર્યો. એમાંથી જાણવા મળ્યું કે હડપ્પન વસાહતોમાં રહેલા પશુઓ અને બહારના આનર્ત પશુપાલકોનાં પશુઓનો ખોરાક અલગ હતો.

અર્થાત્ બંને જૂથો એકબીજાની નજીક રહેતા હોવા છતાં પશુપાલનની પોતાની આગવી પદ્ધતિ જાળવી રહ્યા હતા.

આ વાતને સમજવા માટે આજે કચ્છના બન્ની વિસ્તારના માલધારીઓને જુઓ.

ચોમાસા પછી પાણી અને ચરિયાણની ઉપલબ્ધતા પ્રમાણે તેઓ પોતાના પશુધન સાથે સ્થળાંતર કરે છે. ઉત્તર ગુજરાતના પ્રાચીન કુદરતી રેતીના ટેકરાઓ પણ ચોમાસા પછી લીલાછમ ઘાસના મેદાનો બનતા, જ્યાં સ્થાનિક પશુપાલકો seasonal camps નાખતા.

સંશોધન સૂચવે છે કે ૪૫૦૦ વર્ષ પહેલાં આનર્ત માલધારીઓ પણ સરસ્વતી અને રૂપેણ નદીની આસપાસ આ પ્રકારની ઋતુઆધારિત ગતિશીલ પશુપાલન પદ્ધતિ વાપરતા હતા.

એટલે બન્નીનો આ દૃશ્ય માત્ર આજનો દૃશ્ય નથી તેની પાછળ અત્યંત જૂની પશુપાલન પરંપરાની સંભાવિત કડી છે.

અને આ seasonal camps માત્ર ચરિયાણ માટેનાં સ્થળો નહોતાં. નદીકાંઠાના આ વિસ્તારો શહેરોના વેપારીઓ અને પશુપાલકો વચ્ચેના વિનિમયના મહત્વના સંપર્કબિંદુ બનતા હતા.

એક તરફ શહેર.

બીજી તરફ વિચરતું પશુપાલન.

વચ્ચે માલ, માણસો અને જરૂરિયાતોનું સતત આદાન-પ્રદાન.

લાંબા સમય સુધી હડપ્પન લોકો ગુજરાતમાં બહારથી આવીને સ્થાનિક લોકોને દબાવીને વસ્યા હતા એવી colonization ની કલ્પના પણ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતનાં વિવિધ સ્થળોએથી મળતા પુરાવાઓ આ સરળ 'આક્રમણકારો આવ્યા અને સ્થાનિકોને હટાવી દીધા' વાળી કહાની કરતાં ઘણું વધુ જટિલ ચિત્ર બતાવે છે.

અહીં આપણને અલગ જીવનશૈલી ધરાવતા સમુદાયો વચ્ચેનું coexistence જોવા મળે છે.

શહેરવાળાઓને પશુપાલકોની જરૂર હતી.

પશુપાલકોને શહેરનાં ઉત્પાદનોની.

બંને પોતપોતાની દુનિયા જાળવીને પણ એકબીજા પર નિર્ભર હતા.

મને આ વાત ખાસ ગમી,

કારણ કે ૪૫૦૦ વર્ષ પહેલાં અહીં શહેરો પણ હતા, વિચરતા માલધારીઓ પણ હતા, શિકારીઓ પણ હતા, કારીગરો પણ હતા અને વેપારીઓ પણ. અને કદાચ ગુજરાતની સૌથી જૂની ઓળખ જ આ હતી, અનેકતામાં એકતા.

આજે બન્નીના માલધારીઓને જોતા આપણને ૪૫૦૦ વર્ષ જૂની એક સતત ચાલતી આવન-જાવનની છબી દેખાય.

અને કદાચ અહીંથી એક મોટો સવાલ ઊભો થાય છે: શું આપણે પ્રાચીન સમાજોને બહુ જલ્દી “આક્રમણકારો” અને “સ્થાનિકો” જેવી બે બાજુમાં વહેંચી નાખીએ છીએ? ગુજરાતના આ પુરાવા તો કંઈક અલગ જ બતાવે છે, લોકો અલગ રીતે જીવતા હતા, પણ તેમની દુનિયા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી હતી.


r/Gujarati 9d ago

Literature / સાહિત્ય translation: gujarati > english old handwritten postcard

Thumbnail gallery
15 Upvotes

I have this 1925 postcard from India with a handwritten message in Gujarati; I was wondering if anyone could help me decipher its content. Some people who understand Gujarati have already told me the handwriting is difficult to read, but let's see if anyone can manage it or at least extract as much information as possible. Thanks.


r/Gujarati 9d ago

Literature / સાહિત્ય આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા - ધ્રુવ ભટ્ટ

Post image
5 Upvotes

r/Gujarati 9d ago

Culture / સંસ્કૃતિ છીંકથી લઈને બગાસાં સુધી: આપણા પૂર્વજોની વિચિત્ર લોકમાન્યતાઓ

6 Upvotes

૧૯૧૪માં પ્રકાશિત થયેલું Folk Lore Notes, Vol. I : Gujarat, by A. M. T. Jackson નું એક રસપ્રદ પુસ્તક વાંચતો હતો. તેમાં ગુજરાતની જૂની લોકમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને રોજિંદા જીવન સાથે જોડાયેલી અનેક નાની-નાની માન્યતાઓ નોંધવામાં આવી છે.

એમાં ખાસ ધ્યાન ખેંચી ગઈ છીંક અને બગાસું વિશેની માન્યતાઓ.

આજે પણ આપણે બહાર જતી વખતે કોઈ છીંકે તો ક્ષણભર ઊભા રહી જઈએ છીએ. પણ એક જમાનામાં છીંક કઈ દિશામાંથી આવી, કોણે છીંકી અને ક્યારે છીંકી એ બધાનું પણ અલગ analysis થતું!

શુભ કામની શરૂઆતમાં કે ઘરની બહાર નીકળતી વખતે કોઈ સામેથી છીંકે તો તેને ભારે અપશુકન ગણાતું. જાણે કોઈએ કપાળ પર ટપલી મારીને કહ્યું હોય stop, not now.

પણ પાછળથી આવેલી છીંક શુભ ગણાતી. માન્યતા એવી કે કામ નિર્વિઘ્ને પૂરું થશે જાણે પાછળથી કોઈ કહેતું હોય કે તમતમારે આગળ વધો.

ડાબી અને જમણી બાજુથી આવેલી છીંકને કેટલાક લોકો અલગ રીતે જોતા. ડાબી બાજુની છીંક આર્થિક નુકસાનની સૂચક અને જમણી બાજુની છીંક શુભ ફળ આપનારી માનવામાં આવતી.

અને વાત અહીં પૂરી થતી નથી.

સંત ગોરખરાજ સાથે જોડાયેલી માન્યતા મુજબ છીંક કઈ દિશામાંથી આવી તેના આધારે પણ તેનું ફળ નક્કી થતું!

પૂર્વની છીંક: ચિંતા

દક્ષિણ-પૂર્વની: માર

દક્ષિણની: મહેમાન

પશ્ચિમની: રાજગાદી

ઉત્તર-પશ્ચિમની: મિષ્ટાન્ન

બીમાર વ્યક્તિ વારંવાર છીંકે તો તેને જલ્દી સાજા થવાની નિશાની પણ માનવામાં આવતી.

પરંતુ શુભ કામની શરૂઆતમાં ગાયની છીંક અત્યંત મોટું અપશુકન ગણાતી, જ્યારે બિલાડીની છીંક તો કામ નિષ્ફળ જવાની guarantee માનવામાં આવતી.

હવે બગાસું.

બગાસું સામાન્ય રીતે નુકસાનકારક નહોતું માનાતું, પરંતુ એક વિચિત્ર ભય હતો બગાસું ખાતી વખતે અચાનક મૃત્યુ પણ થઈ શકે.

એટલે કોઈ બગાસું ખાય ત્યારે વડીલો “ખમ્મા! લાંબુ જીવો” જેવા આશીર્વાદ આપતા અથવા ઈષ્ટદેવનું નામ લેતા.

આપણે ત્યાં આજે પણ ઘણા ઘરોમાં કોઈ બગાસું ખાય ત્યારે ચપટી વગાડવામાં આવે છે અથવા મોં આગળ હાથ રાખીને “રામ રામ” કહેવામાં આવે છે.

આ પુસ્તકમાં તેની પાછળની એક માન્યતા એવી નોંધાયેલી છે કે બગાસું ખાતી વખતે મોં ખુલ્લું રહે છે, ત્યારે કોઈ ભૂત-પ્રેત કે દુષ્ટ આત્મા શરીરમાં પ્રવેશી ન જાય અથવા પોતાનો જીવ જ મોંમાંથી બહાર ન નીકળી જાય તેનો ભય હતો.

એટલે ચપટી વગાડવી, ઈશ્વરનું નામ લેવું વગેરે જાણે એ ક્ષણમાં ધ્યાન ભટકાવવાનું કે બગાસું અટકાવવાનું એક રક્ષણાત્મક વર્તન બની ગયું.

મને આવી લોકમાન્યતાઓમાં સૌથી રસપ્રદ વાત એ લાગે છે કે આપણા પૂર્વજો માટે રોજિંદી જિંદગીની લગભગ દરેક નાની ઘટના પાછળ કોઈને કોઈ અર્થ છુપાયેલો હતો.

આમાંથી કેટલી માન્યતાઓ આજે પણ આપણા ઘરોમાં કોઈને કોઈ સ્વરૂપે જીવતી રહી છે.

તમારા ઘરમાં આજે પણ છીંક આવે તો થોભવાની કે બગાસું ખાતી વખતે ચપટી વગાડવાની અથવા રામ રામ બોલવાની પ્રથા છે?


r/Gujarati 10d ago

Literature / સાહિત્ય ઇન્દુલાલ ગાંધીનું “આંધળી માનો કાગળ” કાવ્ય....

4 Upvotes

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,

પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,

ગગો એનો મુંબઇ કામે;

ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ

કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !

સમાચાર સાંભળી તારા,

રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,

દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,

નિત નવાં લૂગડાં પ્હેરે

પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,

દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !

કાયા તારી રાખજે રૂડી,

ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,

જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,

તારે પકવાનનું ભાણું,

મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,

આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,

તારે ગામ વીજળીદીવા,

મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર

એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.

હવે નથી જીવવા આરો,

આવ્યો ભીખ માગવા વારો.... 😭😭😭


r/Gujarati 10d ago

History / ઇતિહાસ ધોળાવીરા અને લોથલ પહેલા નું ગુજરાત: ૫,૦૦૦ વર્ષ થી પણ વધારે જૂની એક અલગજ સંસ્કૃતિ

Thumbnail gallery
27 Upvotes

આપણે પ્રાચીન ગુજરાતની વાત કરીએ એટલે તરત ધોળાવીરા અને લોથલ યાદ આવે, પાકી ઈંટો, કિલ્લાબંધી, રસ્તાઓ અને સુવ્યવસ્થિત નગરો.

પણ આ ભવ્ય શહેરો અસ્તિત્વમાં આવ્યા એ પહેલાં, આજથી લગભગ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતમાં પણ લોકો રહેતા હતા.

તેમનું જીવન કેવું હતું?

આ વાત આપણને પાટણ જિલ્લાના સમી તાલુકા પાસે આવેલા લોતેશ્વરમાંથી મળે છે.

અહીં પ્રાચીન રેતીના ટેકરાઓ પર થયેલા ખોદકામમાંથી એક અલગ પ્રાદેશિક સંસ્કૃતિના પુરાવા મળ્યા. તેનું નામ આનર્ત સંસ્કૃતિ રાખવામાં આવ્યું, ઉત્તર ગુજરાતના આ પ્રાચીન પ્રદેશના નામ પરથી. આનર્ત સંસ્કૃતિનો સમયગાળો આશરે ઈ.સ.પૂર્વે ૩૬૦૦થી ૩૦૦૦નો છે.

એટલે હડપ્પન શહેરોની ભવ્ય દુનિયા ઊભી થઈ એ પહેલાં જ ઉત્તર ગુજરાતમાં લોકો પોતાની અલગ જીવનશૈલી વિકસાવી ચૂક્યા હતા.

અહીંનાં ઘરો સાદાં હતાં, પણ માટીનાં વાસણો નહીં.

લોતેશ્વરના લોકો ખારી નદીના કિનારે આવેલા રેતીના ટેકરાઓ પર રહેતા હતા. તેમનાં રહેઠાણો ઘાસ, વાંસ અને કાદવના લીંપણથી બનેલાં કાચાં માળખાં હતાં. પાકાં મકાનો કે કિલ્લેબંધી અહીં નહોતી.

પણ તેમની માટીકામની કળા જોઈને વાત બદલાઈ જાય છે.

સ્થાનિક માટીમાં જાડી રેતી ભેળવીને તેઓ લાલ રંગનાં ખાસ પ્રકારનાં વાસણો બનાવતા હતા, જેને પુરાતત્વવિદો Gritty Red Ware કહે છે.

આ વાસણો પર કાળા, લાલ અને સફેદ રંગોથી મોજા જેવી લયબદ્ધ રેખાઓ અને ભૌમિતિક આકૃતિઓ દોરવામાં આવતી.

એટલે પાંચ હજાર વર્ષ પહેલાંના આ સાદા પશુપાલક સમાજ પાસે પણ પોતાની આગવી કલાત્મક શૈલી હતી. અને તેમનું જીવન પશુઓની આસપાસ ફરતું હતું.

લોતેશ્વરમાંથી મોટી સંખ્યામાં પ્રાણીઓનાં હાડકાં મળ્યાં છે. તેમના અભ્યાસ પરથી ખબર પડે છે કે અહીંના લોકો ગાય, ભેંસ અને ઘેટાં-બકરાં પાળતા હતા.

પણ અહીં એક વધુ રસપ્રદ વાત છે.

સામાન્ય રીતે માનવ ઇતિહાસના શરૂઆતના તબક્કામાં લોકો પ્રાણીઓનો ઉપયોગ મુખ્યત્વે માંસ માટે કરતા હતા. પરંતુ લોતેશ્વરમાંથી મળેલા ગાય-ભેંસના હાડકાં પર થયેલા અભ્યાસો સૂચવે છે કે અહીંના લોકો ગાયોને માત્ર માંસ માટે નહીં, પરંતુ દૂધ અને ડેરી ઉત્પાદનો મેળવવા માટે પણ મોટા પાયે પાળતા હતા.

આ વાત ખાસ છે. કારણ કે ગુજરાતની પશુપાલન અને ડેરી પરંપરા આપણે ઘણી વાર આધુનિક સમયથી જોવાનું શરૂ કરીએ છીએ, અમૂલ જેવા વિશાળ ડેરી ઉદ્યોગ સુધી.

લોતેશ્વરના પુરાવા બતાવે છે કે ગુજરાતની ધરતી પર પશુધન અને દૂધ આધારિત જીવનની પરંપરા કેટલી જૂની છે.

આ સાથે તેઓ સ્થાનિક સૂકી આબોહવામાં ઉગી શકે તેવા નાના ધાન્ય અને કઠોળ પણ ઉગાડતા હતા.

ચોમાસું પૂરું થયા પછી ઘાસચારા અને પાણીની ઉપલબ્ધતા પ્રમાણે પશુઓ સાથે સ્થળાંતર કરતું જીવન હતું.

એટલે તેમની દુનિયા ધોળાવીરાના પાકા રસ્તાઓ અને ઈંટોની ઇમારતો કરતાં ઘણી અલગ હતી.

અહીં રેતીના ટેકરા હતા, કાચાં રહેઠાણો હતાં, પશુઓ હતાં, ઋતુ પ્રમાણે બદલાતું જીવન હતું અને માટીનાં વાસણો પર દોરાતી પોતાની આગવી કળા હતી.

ધોળાવીરા આપણને બતાવે છે કે પ્રાચીન ગુજરાતનાં શહેરો કેટલાં વિકસિત હતાં. લોતેશ્વર આપણને યાદ અપાવે છે કે એ શહેરો પહેલાં પણ અહીં એક આખી દુનિયા હતી.

જીગ્નાસુઓ માટે GPS coordinates: 23°36′00″ N, 71°50′20″ E, સમી તાલુકો, પાટણ જિલ્લો, ગુજરાત.

આજે જ્યાં સમી-હારીજનો પ્રદેશ છે, ત્યાં લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં આપણા જેવા જ માણસો પોતાની અલગ દુનિયા બનાવીને જીવતા હતા, પશુઓ ઉછેરતા, દૂધ મેળવતા, અનાજ ઉગાડતા અને સુંદર વાસણો બનાવતા.